Karva Chouth Katha

Best Gujarati Lyrics
0


કરવા ચોથ: વ્રત વિધિ અને વ્રત કથા

 વ્રત વિધિ: આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. આ દિવસે સૌભાગ્યવતિ સ્ત્રી નકોરડો ઉપવાસ કરે છે. રાત્રે શિવ-પાર્વતી, કાર્તિકેય અને ચંદ્રની પૂજા કરી તથા ચંદ્રનાં દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે. આ દિવસે માટીના ગૌરીમાતાની મૂર્તી બનાવીને તેની પૂજા કરાય છે. 


વ્રત કથા: એક દિવસ અર્જૂન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી. આથી દ્રોપદી દુ:ખી દુ:ખી થઈગઈ. તેણે કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગારવાની વિનંતી કરી. આથી કૃષ્ણએ જણાવ્યું કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું ત્યારે ભગવાને કરવા ચોથનું વ્રત કરવાનું કહ્યું હતું. જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે. આ પછી શ્રીકૃષ્ણ ભગવાને એક વાર્તા કહી.


પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી.  ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. 


રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.



 ભોજન પત્યા પછી તરતજ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોય દુ:ખનું કારણ પૂછ્યું. બહનેની હકિકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો. 


આ વાત પૂરી કહી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસિબત ટળી જશે. આથી દ્રોપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની બધી મુસીબત ટળી ગઈ હતી. અને પાંડવો પર આવેલું સંકટ ટળી ગયું હતું. આ વ્રત કરનારનો ચૂડી-ચાદલો અખંડ રહે છે, વાંઝીયામેણું ટળે છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

 

જ્યોતિષાચાર્ય આશિષ રાવલ જણાવે છે કે આ વ્રત પરણિત બહેનો પોતાના પતિના દીર્ઘાયુ માટે નિર્જળા ઉપવાસ કરે છે, વિશેષમાં લગ્ન જીવનમાં પ્રેમ, સ્નેહ, શીતળતા વધે તેવો શુભ આશય રહેલો હોય છે. આ વ્રતની પૂજા બપોર પછી થતી હોય છે, આજે સાંજે ૫.૪૩થી ૬.૪૪ વાગ્યા સુધી પૂજા કરવાનું ઉત્તમ મુહૂર્ત છે. આ પૂજામાં દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના સાથે મહાપૂજા કરવામાં આવે છે. મહાદેવજીને ધોતી, ફળ ,મીઠાઇ, જનોઈ વગેરે અર્પણ કરવામાં આવે છે. ઘણી બહેનો આ પૂજા સાથે ગણપતિજીની પૂજા કરતી જોવા મળે છે. રાત્રે ચંદ્રોદય ૭.૫૬ મિનિટ થશે. બહેનો શ્રદ્ધાપૂર્વક ચંદ્રમાના દર્શન ચારણીમાં કર્યા પછી પતિના દર્શન કરશે. તેમજ આ વ્રતની કથા વાંચતી હોય છે. ત્યાર બાદ વિધિવત રીતે વ્રત ખોલશે. પછી ભોજન કે ફળાહાર લે છે.


#karvachouthstory#whykarvachauthiscelebrated#karvachouthstorylyricsingujarati#benefitsofkarvachouth

Post a Comment

0Comments
Post a Comment (0)